Waterways and Ports: ગુજરાત ના બંદરો, Ports in Gujarat, સંપૂર્ણ માહિતી જાણો એક ક્લિક મા...

ગુજરાત ના જળવ્યવહાર અને બંદરો

---> ભારતનાં દરિયા કિનારો ધરાવતા 9 રાજ્યો પૈકી એક ગુજરાત દેશના કુલ દરિયા કિનારાનો 28 ટકા ભાગ ધરાવે છે. ભારતને 7,516 કિ.મી. દરિયા કિનારો પ્રાપ્ત થયેલો છે. જે મુજબ ગુજરાતને 28 ટકા દરિયા કિનારો પ્રાપ્ત થયેલો છે.

---> ગુજરાતમાં આવેલ નાની-નાની નદીઓને કારણે રાજ્યમાં આંતરિક જળવ્યવહાર નહિવત્ છે. માત્ર નર્મદા અને તાપી નદીમાં જ થોડો આંતરિક જળવ્યવહાર શકય છે પરંતુ તેમાં પણ માત્ર નાની હોડીઓ જ ચાલે છે. આંતરિક જળ વ્યવહારનાં સ્થાને ગુજરાતમાં દરિયાઈ જળ વ્યવહાર ખૂબ જ વિસ્તરેલો છે.

---> પ્રાચીન સમયથી ગુજરાત દરિયાઇ માર્ગે બીજા દેશો સાથે વેપાર કરે છે. ભારતમાં દરિયા કિનારાએ આવેલા કુલ 145 બંદરો પૈકી 42 બંદરો ગુજરાતનાં દરિયા કિનારે આવેલાં છે.

---> ગુજરાતમાં આવેલા મોટા, નાના અને મધ્યમ કદનાં 42 બંદરો પૈકી 22 બંદરો સૌરાષ્ટ્ર, 15 બંદરો તળ ગુજરાતમાં અને 5 બંદરો કચ્છમાં આવેલાં છે. જયારે ભારત અને પાકિસ્તાનનાં ભાગલા પડતાં કરાંચી બંદર પાકિસ્તાનના ફાળે જતાં કંડલા બંદરને મહાબંદર તરીકે ઇ.સ. 1955માં જાહેર કરવામાં આવ્યું હતું.

• કંડલા બંદર (પંડિત દિનદયાળ બંદર)

---> ઇ.સ. 1931માં કંડલાનો બંદર તરીકે ઉપયોગ શરૂ થયો અને ઈ.સ. 1950માં તેને નાના બંદર તરીકે ઉપયોગમાં લેવાતું હતું.

---> કંડલા બંદર કેન્દ્ર સરકાર હસ્તક છે. જેનો વહીવટ એક સ્વાયત્ત સંસ્થા કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા થાય છે. કંડલાને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪ (A) દ્વારા જોડવામાં આવ્યું છે જયારે કંડલા ઝોનથી 14 કિ.મી.ના અંતરે હવાઈ મથકની સુવિધા પણ છે.

---> ગુજરાતમાં 11 મધ્યમ અને 29 નાના બંદરો આવેલા છે.

---> ઇ.સ. 1982માં ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. જે બોર્ડ ગુજરાતમાં કંડલા, દીવ અને દમણ સિવાય તમામ બંદરોનો વહીવટ સંભાળે છે. જે અંતર્ગત 11 મધ્યમ કક્ષાનાં અને 29 નાના બંદરો આવેલા છે.

---> અમરેલી જિલ્લામાં આવેલું પીપાવાવ બંદર ઇ.સ. 1998થી દેશના સૌપ્રથમ ખાનગી બંદર (પોર્ટ આલ્બર્ટ વિક્ટર) તરીકે કાર્યરત્ છે.

---> રાજ્યમાં મધ્યમ કક્ષાનાં બંદરોનું સૌથી વધુ પ્રમાણ સૌરાષ્ટ્રમાં છે.

---> ગુજરાત સરકારે ખાનગી ક્ષેત્રને બંદરનો વહીવટ કરવાની સ્વાયત્તતા, સમયસર માળખાકીય સુવિધાઓની રચના કરવા, સરકારની આર્થિક જવાબદારી ઓછી કરવા તેમજ પીઠ પ્રદેશના વિકાસ સાથે બંદરના વિકાસનો સુમેળ કરવા ઇ.સ. 1997માં BOOT (Build, Own, Operate and Transfer) નીતિ જાહેર કરી હતી. જયારે આ પ્રકારનું ખાનગી મૂડી રોકાણ કરનારને ઇ.સ. 1999માં ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ઓર્ડિનન્સ થકી રક્ષણ પૂરું પાડવામાં આવ્યું હોય તેવું ગુજરાત ભારતમાં પ્રથમ રાજ્ય બન્યું છે.

---> ગુજરાત ખંભાતના અખાત, કચ્છના અખાત અને અરબ સાગરથી ઘેરાયેલું છે ત્યારે અરબ સાગરમાંથી સુએઝ જળમાર્ગ પસાર થાય છે. જેના કારણે યુરોપ, અમેરિકા, ઇરાનનાં અખાતના દેશો, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, આફ્રિકાના દેશો વગેરે જેવા દેશો સાથે જળવ્યવહાર મારફત વેપાર મુદ્દે ગુજરાત ધનિષ્ઠ સંબંધો ધરાવે છે.

• ખાનગી બંદરો

---> ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા બંદરોના વિકાસ માટે બંદર નીતિ અને BOOT નીતિના પરિપ્રેક્ષ્યમાં ખાનગી રોકાણને સામેલ કરવા માટે મુંદ્રા હજીરા, દહેજ, ધોલેરા અને પોશિત્રા મળી 5 ગ્રીનફિલ્ડ બંદરોના વિકાસ માટે વિકાસકાર પસંદ કરવામાં આવ્યા છે.

• જેટી

---> બિલ્ડ, ઓપરેટ, મેઈન્ટેન અને ટ્રાન્સફર (BOMT) આધારિત બંદર ઉપર નભતા ઉદ્યોગોને તેની સમર્પિત જેટીઓ બાંધવા માટે પરવાનગી આપવામાં આવી છે. જેને કેપ્ટિવ જેટી તરીકે ઓળખવામાં આવે છે.

• પેટ્રોનેટ એલ.એન.જી.લિ.

---> ભારતમાં પ્રવાહી કુદરતી ગેસ મેળવવા અને તેના રિગેસિફિકેશન માટે પેટ્રોનેટ એલ.એન.જી. લિ. એ દહેજ ખાતે સૌપ્રથમ ટર્મિનલ પ્રસ્થાપિત કર્યું છે. દેશના ઊર્જા ક્ષેત્રમાં આ એક પાયાનો પ્રયાસ છે. રિગેસિફાઈડ લિક્વિફાઈડ નેચરલ ગેસની સતત વધતી માંગ દહેજ ટર્મિનલ દ્વારા ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણાને સંતોષાઈ રહી છે. દહેજ ખાતે

ના આ ટર્મિનલની વાર્ષિક ક્ષમતા 10 મિલિયન મેટ્રિક ટનની છે. એલ.એન.જી.નું પૂરું નામ લિક્વિફાઈડ નેચરલ ગેસ છે.

• દહેજ-ઘોઘા રો-રો ફેરી સર્વિસ

---> 22 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીએ ઘોઘા-દહેજ રો-રો (રોલ ઓન રોલ ઓફ) ફેરી સર્વિસને ખુલ્લી મુકી.

---> ભાવનગર જિલ્લામાં આવેલા ઘોઘા ખાતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2012માં દહેજ- ઘોઘા વચ્ચેની રો-રો ફેરી સર્વિસ પ્રોજેકટનો શિલાન્યાસ કરી કાર્યારંભ કરાવ્યો હતો. દહેજ ગુજરાતનાં ભરૂચ જિલ્લામાં આવેલું છે અને દહેજ-ઘોઘા વચ્ચે 360 કિ.મી. રોડ માર્ગ છે. પરંતુ આ રો-રો ફેરી સર્વિસ શરૂ થતાં દરિયાઈ માર્ગનું અંતર માત્ર 31 કિ.મી.નું થશે. રો-રો ફેરી સર્વિસના કારણે આર્થિક, સામાજિક અને પર્યાવરણની અસરોના અર્થમાં બહુવિધ લાભ થવાના છે. જેમાં પરિવહનનાં સમયમાં ઘટાડો, બળતણનો વપરાશ અને ખર્ચમાં ઘટાડો, લોડિંગ-અનલોડિંગ વાહનોના રોકાણમાં ઘટાડો, રેલ-રોડનું એકસટેન્શન, સૌથી ઓછું પર્યાવરણ પ્રદૂષણ સાથે વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો અને પરિવહન દરમિયાન માલની નુકસાનીનું ઓછું જોખમ જેવી લાક્ષણિકતાઓનો સમાવેશ થાય છે. 2020માં વડાપ્રધાન મોદીએ ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું.

• અલંગ

---> ભાવનગરથી અંદાજિત 50 કિ.મી, અને તળાજાની નજીક વિશ્વનું સૌથી મોટું જહાજ ભાંગવાનું કેન્દ્ર અલંગ આવેલું છે.

---> અલંગ દેશનું 90 ટકા જહાજ ભાંગવાનું કામ કરે છે. અલંગમાં કુલ 183 જહાજ ભાંગવાના પ્લોટ્સ આવેલા છે. જેમાંથી 92 પ્લોટ્સ અલંગમાં અને 91 પ્લોટ્સ અલંગની નજીક આવેલા સોસિયામાં છે.

---> 2011-12માં દેશી અને પરદેશી એમ કુલ 415 જહાજો ભાંગવામાં આવ્યા હતા. અલંગના કારણે ભાવનગર જિલ્લામાં રિ-રોલિંગ મિલ્સ, ઓકિસજન પ્લાન્ટ્સ, ફાઉન્ડ્રી, ટ્રાન્સપોર્ટ વગેરે જેવી બાબતોમાં નોંધપાત્ર વિકાસ થયો છે. અલંગમાં અંદાજિત 25,000 લોકો કાર્યરત છે.

---> અલંગ પ્રતિ વર્ષ 4.6 મિલિયન ટન સ્ટીલનો ભંગાર ઉત્પન્ન કરે છે જેનું રિ-રોલિંગ થાય છે.

---> ભારતનું પ્રથમ વિમાનવાહક યુદ્ધ જહાજ INS વિરાટ અલંગ ખાતે ભંગાણ માટે આવી પહોચ્યું છે.

• ગુજરાતમાં આવેલા બંદરો

--->  કચ્છ : કંડલા, માંડવી, જખૌ, મુંદ્રા, કોટેશ્વર

---> જૂનાગઢ : માંગરોળ, માઢવાડ, રાજપરા

---> પોરબંદર : પોરબંદર, નવીબંદર

---> ગીર સોમનાથ : વેરાવળ

---> અમરેલી : પીપાવાવ, જાફરાબાદ, કોટડા

---> ભરૂચ : ભરૂચ, દહેજ

---> વલસાડ : વલસાડ, ઉમરસાડી, નારગોલ, ઉમરગાંવ, કોલક

---> ભાવનગર : ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા

---> દેવભૂમિ દ્વારકા : સલાયા, ઓખા, રૂપેણ, પિંઢારા, બેટ

---> મોરબી : નવલખી

---> આણંદ : ખંભાત

---> સુરત : મગદલ્લા, ભગવા

---> જામનગર : બેડી, સિકકા, જોડિયા

---> નવસારી : ઓંજલ, બીલીમોરા, વાંસીબોરસી

---> દીવ અને દમણ (UT) : દીવ

---> દીવ અને દમણ (UT) : દમણ



Post a Comment

0 Comments

Featured post

History of Gujarat Part - 2; ગુજરાત નો સંપૂર્ણ ઈતિહાસ પાર્ટ-: ૨